મણકો # 217 તા- 8-9-2024
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા રીટા જાની. તેમણે 100 વર્ષ પહેલા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરી છે એવા સાહિત્ય સર્જક કનૈયાલાલ મુનશીની કલમે લખાયેલી કૃતિઓની આજની પેઢીને તેમના વાર્તાલાપ દ્રારા રસાસ્વાદ કરાવ્યો.
કનૈયાલાલ મુનશીની કલમે જે શબ્દો ઝર્યા ને સાહિત્ય રચાયું તે અદ્દભૂત છે. આજથી સો વર્ષ પહેલાં ગુજરાતના ઇતિહાસના પૃષ્ઠો બહાર લાવી ગુજરાતની અસ્મિતાને લોકો સુધી પહોંચાડી છે. કનૈયાલાલ મુનશી ઐતિહાસિક ઉદ્ગાતા,અર્વાચીન સાહિત્યના સર્જક, ક્રાંતિના વાહક, લાગણીને વાચા આપનાર કલમના સ્વામી હતા. તેમની કલમમાં વિવિધતા હતી. બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કનૈયાલાલ મુનશી ભરુચના ભાર્ગવ બ્રાહ્મણ હતા. માતા પિતાના સાત સંતાનોમાં છ બહેનોના લાડીલા બાળકનું બાળપણ તો કેવું હશે તે તો કલ્પી શકાય તેવી વાત છે. લાડકોડમાં મોટા થયેલ કનૈયાલાલ માત્ર કલમના જ કસબી નહોતા પણ વ્યવસાયે મુંબઇના પ્રતિષ્ઠિત વકીલ હતા. શરુઆતની કારકિર્દી પત્રકાર તરીકે પણ રહી હતી. ભારતની આઝાદી પછી બંધારણ સમિતિમાં તેમનું યોગદાન હતું . હૈદ્રાબાદના નિઝામ ભારતમાં જોડાવા માંગતા નહોતા ત્યારે વિષ્ટિકાર તરીકેની મહત્વની ભૂમિકા સાથે સરદારના સલાહકાર તરીકેની સફળ કામગીરી તેમણે બજાવી હતી. સોમનાથના મંદિરના નવીનીકરણમાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. જાણીતા શિક્ષણવિદ હતા ને માતૃભાષા ગુજરાતી માટે એમનો અમૂલ્ય ફાળો એટલે માસિક મેગેઝીન નવનીતના સંસ્થાપક . જે આજે પણ નિયમિત રૂપે તેમણે સ્થાપેલ ભારતીય વિદ્યાભવન દ્રારા પ્રકાશિત થાય છે. ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા. તેમના જીવનકાળ દરમ્યાન કંઇ કેટલીય સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમણે જાણીતા નવલકથાકાર, નાટ્યકાર ને કવિ તરીકે જે સર્જન કર્યું તે મેઘધનુષના વિવિધ રંગો સમુ છે. ઐતિહાસિક નવલકથાકાર તરીકે તેમણે આપણાં ગુજરાતના વૈભવ વારસાનો પરિચય કરાવ્યો છે.
તેમની જાણીતી ઐતિહાસિક નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ , જય સોમનાથ વિ. ગુજરાતનો સોલંકી યુગ ઉજાગર કરે છે . તે સિવાય ભગવાન કૌટિલ્ય, ભગ્ન પાદુકા, પૃથ્વી વલ્લભ વિ. તેમનું અજોડ સર્જન છે. કૃષ્ણાવતારના સાત ભાગ જે એમની કલમે લખાયેલા છે તે તો દરેક પાત્રને આપણી સમક્ષ તાદ્દશ્ય કરવામાં જે તેમનો પ્રયત્ન રહ્યો છે તે તો કેમ ભુલાય .આઠમો ભાગ લખાતો હતો ત્યારે તેમણે 83 વર્ષે જીવનલીલા સંકેલી લીધી. તે ભાંગ અધૂરો રહ્યો.
રીટાબહેને તેમની ઐતિહાસિક નવલકથાના પાત્રો જે મુનશીની કલમે જીવંત થયા હતા તેની છણાવટ સુંદર રીતે કરી. રીટાબહેને પણ ભાષાના વૈભવ વડે જે કનૈયાલાલ મુનશીનો પરિચય કરાવ્યો તે કાબિલેદાદ હતો . રીટાબહેન આપનો ખૂબ ખૂબ આભાર .
કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .
--- સ્વાતિ દેસાઇ
7 окт 2024